– રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા,
– જન્મભૂમી પ્રવાસીના મુખ્ય તંત્રી,
– રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા ,
– ‘કબીર એવોર્ડ’ જે કવિતા માટેનો સર્વોત્તમ એવોર્ડ છે .આ બધું મેળવનાર શ્રી હરીન્દ્ર દવેને આજે ગુજરાતી પ્રિય દરેક જણ એમને ઓળખે છે. “ગાંધીની કાવડ” આ લઘુનવલ શ્રી હરીન્દ્ર દવેના સર્જનમ ઉમેરાયેલી એક વધુ કલગી સમાન છે.આ નવલકથા સાદ્યંત રાજકારણનું કથાવસ્તુ ધરાવતી હોવા છતાં,અત્યંત રસપ્રદ બની છે.એક પણ શબ્દ છોડ્યા વગર વાંચ્યા જ કરો એવી પકડ છે.
એના કથા-નિરુપણમાં હળવાશ વર્તાતી હોવા છતાં ,જે કઈ રાજ-કારણમાં બની રહ્યું છે,તે પ્રત્યેનું ઊંડું દુઃખ લેખક અનુભવે છે.સત્તા અને હોદ્દાથી દુર રહીને પણ માત્ર ગાંધી-પ્રેરિત મૂલ્યો માટે જીવનારા અને તેણે માટે મથનારા માણસોના ‘પ્રતિનિધિ’એવા માસ્તર કરુણાશંકરણી આસપાસ આ આખી વાત કહેવાઈ છે.આવા નાખ-શીખ ગાંધીવાદી કરુણા શંકરની સ્વચ્છ પ્રતિમા નો પોતાના પક્ષના હિતમાં ઉપયોગ કરનાર જગમોહન ભારાડીના બદમાશ ચારિત્ર્ય -ચિત્રણ દ્વારા આ કથાનો એક કરુણ અને સબળ વ્યંગ છતો થાય છે.
આવા આ ભ્રષ્ટાચાર વિરોધી કરુણાશંકર પોતે જ ધીમે ધીમે ભ્રષ્ટાચારી બની જાય એ આજના રાજકારણની વક્રતા છે.ધીમે ધીમે આદર્શવાદી કરુણાશંકર માસ્તર દમ્ભીઓની હરોળ મ બેસતા જાય છે.જગમોહન એક ભ્રષ્ટ નેતા છે.એ જાણવા છતાંય તેનો સાથ તેઓ છોડી શકતા નથી.આ લાચારીની સ્થિતિના વર્ણન માટે લેખકે ત્રણ અરીસાવાળા પ્રતીકાત્મક પ્રસંગનું નિરુપણ કર્યું છે.
૧- એકમાં હવે માસ્તરને ન જોવો ગમે એવો ભૂતકાળ છે,
૨- બીજામાં સ્પૃહણીય વર્તમાનકાળ ,
૩- ત્રીજામાં ગવર્નર તરીકેનો ઉજ્જવળ ભવિષ્ય કાળ છે.આ બધામાં પણ એક એવો પ્રસંગ બને છે કે જે રાજકારણી એવા કરુણાશંકર ની અંદર રહેલો ગાંધીવાદી માસ્તર કરુણાશંકર પ્રગટ થાય છે.અને એક તીવ્ર મનોમંથન દ્વારા આ નવલકથાનો અંત થાય છે.
જે કરુણાશંકર માસ્તર ‘નવા ગાંધી’તરીકે ઓળખાતા તેણે યેનકેન પ્રકારે રાજકારણી બનાવી અંતે પાગલ ઠરાવી ,મેન્ટલ વોર્ડમાં ભરતી કરવામાં આવે છે.ત્યાં એક પાગલ દર્દી એવો છે કે જે વારંવાર પોતાના ખભે કશુક વજન ઉચકતો હોય અને તેનો શ્રમ પડતો હોય એવો એ દેખાવ કરતો રહેતો..આ જોઈ માસ્તરને એક રાતે સ્વપ્ન આવે છે તેમાં એક વ્યક્તિ આમ જ વજન ઉક્તિ હોય છે,તેને સ્વપ્ન માં માસ્તર પૂછે છે કે,
‘તમારું નામ શું છે ?’
દર્દી; ‘ તું મને નથી ઓળખતો ?હુ મોહનદાસ કરમચંદ ગાંધી.’
માસ્તર;’ તમે આ શું ઊંચક્યા કરો છો ?’
દર્દી; ‘ આ કાવડ છે.૧૯૪૭ની સાલથી હુ એ ઊંચકું છું.રોજે રોજ એનો ભાર વધતો જાય છે.અને એ કાવાદના એક પલ્લામાં કોઈએ ખુરશી મૂકી દીધી છે,એના ઉપરથી જાતજાતના માણસો ગબડી પડે છે અને જાતજાતના માણસો ઠેકીને બેસી જાય છે.ક્યારેક પલ્લામાં બેસીને તેઓ મારામારી પણ કરે છે.’
માસ્તર;’ આ બીજા પલ્લામાં શું છે ?’
દર્દી; ” ત્યાં હિન્દુસ્તાનની પ્રજા છે.જુઓ આ કરોડો માણસોના સમુહમાં એક ખૂણે તમે પણ છો.’
અને માસ્તર કરુણાશંકર ની આંખોમાંથી આંસુની ધારા વહી રહે છે.અને તેઓ મનોમન બોલે છે કે,”સારું જ થયું મેં ગાંધીની કાવડ
ઉપાડવાની હિંમત ન કરી !'”
આં નવલકથા એટલી મને ગમી કે આજના સમય ને પણ અનુરૂપ થાય છે.તમને પણ જો તે વાચવા મળે તો જરૂર વાંચજો અને અભિપ્રાય પણ લખજો.
નિરવ ની નજરે . . !
જુલાઇ 29, 2012 at 8:51 એ એમ (am)
તક અને સમય મળ્યે , આ બુક જરૂર વાંચીશ .
આટલી સારી ભલામણ બદલ આભાર .
LikeLike